
લોકાર્પણની ક્ષણે શ્રી અમર પાલનપુરી, શ્રી રતિલાલ ‘અનિલ’, શ્રી આત્મારામ પરમાર અને પુસ્તકના સર્જક શ્રી કિસન સોસા.

કાર્યક્રમને માણી રહેલા કવિશ્રીઓ ડૉ. દિલીપ મોદી, શ્રી રમેશ પટેલ, શ્રી મહેશ દાવડકર, શ્રી મહેશ દેસાઇ, શ્રી કમલેશ પટેલ, શ્રી ગૌરવ ગટોરવાળા, શ્રી કિશોર સિંદૂરિયા, નવસારીથી પધારેલા શ્રી સુરેશ દેસાઇ, શ્રી ગોવિંદ મારુ, શ્રી ભૂપેન્દ્ર ઝેડ. અને અન્ય શ્રોતામિત્રો.

કાર્યક્રમને માણી રહેલા સાહિત્યકારશ્રીઓ શ્રી જનક નાયક, શ્રી લતીફ સુરતી, શ્રી રવીન્દ્ર પારેખ, શ્રી બકુલેશ દેસાઇ અને અન્ય શ્રોતામિત્રો.

પોતાના હ્રદયની વાત રજૂ કરી રહેલા કવિશ્રી કિસન સોસા

કાર્યક્રમના પ્રમુખ તરીકે ઉદબોધન કરી રહેલા શ્રી રતિલાલ ‘અનિલ’. સાથે મંચસ્થ મહાનુભાવો શ્રી અમર પાલનપુરી, શ્રી સુરેશ વિરાણી, શ્રી આત્મારામ પરમાર, શ્રી કિસન સોસા અને શ્રી કિરણસિંહ ચૌહાણ

કાર્યક્રમનું સંચાલન કરી રહેલા કવિશ્રી સુરેશ વિરાણી અને કાર્યક્રમને કેમેરામાં કંડારી રહેલા શ્રી ભરત મકવાણા.
મિત્રો, આપ સૌની શુભેચ્છાથી આપણું ‘સાંનિધ્ય પ્રકાશન’ ઝડપથી પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. દોઢ મહિના પહેલા યુવાન કવિ ગૌરવ ગટોરવાળાના પુસ્તકનું પ્રકાશન કર્યું અને ગઇકાલે કવિશ્રી કિસન સોસાના ૧૩મા પુસ્તકનું પ્રકાશન કર્યું. આ પુસ્તકનો પરિચય અહીં પ્રસ્તુત કરું છું.
ભાષાસૌંદર્ય અને કલ્પનાસૌંદર્યથી મંડિત ગઝલસંગ્રહ
‘પોસ્ટ સ્ટેન્ડ પાસે ઊભી છે ગઝલ’
ગુજરાતી સાહિત્યને અગાઉ ૧૨ જેટલા સત્વશીલ પુસ્તકો આપીને સુશોભિત કરનાર કવિશ્રી કિસન સોસા એમના તેરમા પુસ્તક તરીકે ‘પોસ્ટ સ્ટેન્ડ પાસે ઊભી છે ગઝલ’ ગઝલસંગ્રહ આપી રહ્યા છે ત્યારે ભાષાસોંદર્ય અને કલ્પનાસૌંદર્યથી મંડિત આ ગઝલસંગ્રહ વિશે વાત કરવાની રજા લઉં છું.
આ સંગ્રહમાં સમાવિષ્ટ ૭૭ ગઝલોમાં દરેક રંગ, દરેક રસ અને ભાષાનો ઉત્કૃષ્ટ વિનિયોગ જોવા મળે છે.
સંગ્રહની પ્રથમ ગઝલથી જ કવિ જમાવટ કરે છે–
પોસ્ટ સ્ટેન્ડ પાસે ઊભેલી ગઝલ,
કો’ સરળ સાદી પ્રતિમા શી ગઝલ.
શબ્દમાં આજેય ઊભી તાજીતમ્,
કૈં જમાના, દૌરને ઠેલી ગઝલ.
આ સંગ્રહની ગઝલો ઇન્દ્રિયસંવેદ્યતાથી ભરપૂર બની છે. કવિએ વરસાદનું જે ચિત્ર ઊભું કર્યું છે એ માણવા જેવું છે–
ઝરમરે વાછટ મૂશળધારે વરસવું,
કેટલું અદભુત છે આકાશથી જળનું ઉતરવું.
મેડી પર છાઇ ઘટાનું નળિયે, નેવેથી ઉતરવું,
માટીની ભીની સુવાસે આગણાંનું શ્વાસ ભરવું.
માણસ શ્વાસ ભરે છે ત્યારે એને જીવન મળે છે પણ જયારે આંગણું શ્વાસ ભરે છે ત્યારે કવિતા મળે છે.
તો આ એક ઉદાહરણ માણવા જેવું છે–
ઓસની માફક ઝર્યો છું રાતના છેલ્લા પ્રહરમા,
ફૂલ પર્ણો પર સર્યો છું રાતના છેલ્લા પ્રહરમાં.
ઊંઘરેટી શેરીએથી વાંસળીના સૂર જેવી,
લહેર થઇને નીસર્યો છું રાતના છેલ્લા પ્રહરમાં.
પ્રણયની રંગોળી કવિએ અહિ બહુ સાદગીથી પૂરી છે–
ન જાણે કેટલી ભીંતોને ભેદી બારણે આવ્યા,
પરંતુ આવી આવી આમ બસ સંભારણે આવ્યા!
હવે પછીની પંક્તિઓમાં કવિએ ભાષા પાસેથી કેવું કામ કઢાવ્યું છે એ જુઓ–
હું તને પામી ગયો છું એટલું બસ યાદ છે,
સૂર્યમાં થીજી ગયો છું એટલું બસ યાદ છે.
તેં અહર્નિશ યાદ રાખીને ભુલાવ્યો છે મને,
હું તને ભૂલી ગયો છું એટલું બસ યાદ છે.
જો કે સમય સમયનું કામ કરતો હોય છે એટલે જ કવિ લખે છે–
યાદ કાયમ કોઇની રહેતી નથી,
ઉમ્રભર આંખો ભીની રહેતી નથી.
કિસનભાઇની શૃંગારવર્ણન શૃંખલામાં જયારે સુરતનો ચૌટાપુલ જેવો વિસ્તાર આવી જાય છે ત્યારે શું થાય છે જુઓ–
મુગ્ધ મન્મથ પથ ભૂલે, ચૌટાપુલે,
રંગમય સ્વપ્નો ઝૂલે, ચૌટાપુલે.
રૂપને દરિયે પવન હિલ્લોળતા,
પાલવોના શઢ ફૂલે, ચૌટાપુલે.
તો વિપ્રલંભ શૃંગાર તો બેનમૂન રીતે વ્યક્ત થાય છે–
ગામ મધ્ય હંસનો ધવલ પડાવ – તું નથી,
ફૂલ ફૂલ ઓસસિક્ત, રિક્તભાવ, તું નથી.
લખવું જ હોય તો વિષયની ખોટ નથી. કવિએ રાશિઓ ઉપર પણ ગઝલ લખી છે.
‘મકર’ પાણીમાં, ‘કુંભ’ ખાલી, મિથુન !
સળગતી તરસ, રિક્ત પ્યાલી, મિથુન !
ગઝલને ઉપકારક એવી બોલચાલની શૈલી પણ કવિ અહીં પ્રયોજે છે–
વાદળામાં પાણી છે? હા પાણી છે,
કેવી રીતે વાત આ તેં જાણી છે?
એક ટીપે ભીંજવ્યો નખશિખ મને,
એક ટીપે વાત આ પિછાણી છે.
ખેંચાણ જિંદગીનું ને મૃત્યુની તાણ જો,
શ્વાસોના આ ચઢાવ ને ઉતાર જાણ, જો !
એ વાયરાએ કોણ ખવૈયો હલેસતો?
કેવું સરળ વહી રહ્યું વાદળનું વ્હાણ, જો !
ભાવાંજલિ અર્પતી ગઝલોમાંનું કાવ્યતત્વ પણ અહી ધ્યાન ખેંચે છે–
કવિ રમેશ પારેખની સ્મૃતિમાં લખાયેલી બંને ગઝલોમાં સ્મૃતિ અને કૃતિ બંને આસ્વાદ્ય બન્યા છે–
સૂર્ય જેવો પર્ણે પર્ણે લીલું ટહુકાયો કવિ,
લયનો લીલોછમ સૂડો, શબ્દે સુગંધાયો કવિ.
દૈદિપ્યમાન સૂર્યે સૂર્યે ઝળહળ રમેશ પારેખ,
જીવ પર ઝીણું ઝરપતું ઝાકળ રમેશ પારેખ.
અહીં જીવ શબ્દ મૂકીને કવિએ પંક્તિમાં જીવ રેડી દીધો.
સંગીતકાર જયકિશનજીની યાદમાં કિસનભાઇએ જે લખ્યું છે એ બેનમૂન છે–
પીંછું ખરી ગયું ફરી વગડાની આસપાસ,
જાળું ગૂંથાય મૌનનું ટહુકાની આસપાસ.
શિવરંજની ને સોહિણી ને ભૈરવી ઉદાસ,
ખલ–ખંજરી બજી રહી વીણાની આસપાસ.
અને આ બે પંક્તિઓ તો કિસનભાઇના વ્યક્તિત્વને બરાબર અનુસરે છે–
છે જિંદગી એક ખેલ તો એ ખેલ મુસાફિર !
પ્રત્યેક ખૂણે મોજથી બસ ટહેલ, મુસાફિર !
આ સંગ્રહમાં મને સૌથી વધુ ગમી હોય તો તે ગઝલ છે ‘કબ્ર પર ક્યારી’ વાત મૃત્યુ પછીની છે પણ કવિએ એમાં અઢળક સૌંદર્ય છલકાવી દીધું છે.
ફૂલ ખુશ્બૂએ છલકતી કબ્ર પર ક્યારી કરી,
જિંદગી માફક સ્મરણની સેજ પણ ન્યારી કરી.
ગીત ગૂંથી ગૂંથી ગલગોટે ગજબ ગજરો કર્યો,
ને ગઝલની પણ કમળદાંડી સમી ભારી કરી.
આ ઉપરાંત કેટલીક ગઝલો બહુ નિરાળી બની છે એમાં ‘એ બારી, સૂર્યની સગડી, છલોછલ જળે મૂંગી માછલી, મધમાખી મેડીએ, રસ્તો બતાવ, અવાજ’ વગેરેની નોધ લેવી જ પડે.
છેલ્લે કિસનભાઇની આ ચાર પંક્તિઓથી હું મારી વાત પૂરી કરું છું
તારા જ ખ્યાલની એ હવા હોય પણ ખરી,
ફરફરતી મયસદન પે ધજા હોય પણ ખરી.
દરવાજે લાલ અક્ષરે લખ્યું ‘પ્રવેશ બંધ’,
દીવાલ ઠેકવાની રજા હોય પણ ખરી.
કિંમત – રૂ. ૮૦ (‘સાંનિધ્ય પ્રકાશન’ના આજીવન સભ્યો માટે રૂ. ૪૦)
પ્રાપ્તિસ્થાન –૧૦૦, સાંનિધ્ય પ્રકાશન, શાંતિકુંજ સોસાયટી, પાલનપુર જકાતનાકા, સુરત – ૯,
મો. ૯૩૭૪૭૩૭૪૦૯ ઇમેઇલ – khc150@gmail.com