Feeds:
Posts
Comments

પૂછી જુઓ આ જાતને કે ક્યાં જઈ રહ્યાં,

કોના ઇશારે આપણે આગળ વધી રહ્યાં?

 

જન્મોજનમના કોલ તને દઇને શું કરું?

જયાં એક ભવના વાયદા ખોટો પડી રહ્યા.

 

તું લાગણીનો ખેલ ફરીથી શરૂ ન કર,

રોઈ શકાય એટલાં આંસુ નથી રહ્યાં.

 

પામ્યાં જબાન તોય કશું બોલતાં નથી,

ખુદના જ શબ્દ જેમને કાયમ નડી રહ્યા.

 

ભૂલી ગયાં કે બ્રહ્મ તણા અંશ છો તમે !

ચપટીક સુખને માટે તમે કરગરી રહ્યાં !

 

કિરણકુમાર ચૌહાણ

દીવો

મિત્રો,

દિવાળીની અઢળક શુભકામનાઓ સાથે આજે જ રચાયેલું એક તાજજું ગીત ખાસ આપના માટે.

 

ટમટમતો એક દીવો,

કહે કે મારા સાંનિધ્યમાં જિવાય એટલું જીવો.

 

બેસી રહેવાથી પણ અહિયાં વપરાશે બહુ તેલ,

જીવનમાં કૈં રમ્ય પળોની કરીએ રેલમછેલ.

સદાય ભીતર ફરતો રાખો મન નામે મરજીવો.

 

કેટકેટલા સમયના ટુકડા રહી ગયા છે કોરા,

મારી દિવેટમાંથી લઇ લો જોઇએ એટલા દોરા.

કાળઘસરકે ફાટી ગયેલી ઘટનાઓને સીવો.

 

કિરણકુમાર ચૌહાણ

ચાર–ચાર સંતાનોનાં માબાપ એવાં રેવાબેન અને હીરાભાઇની ૩૫ વર્ષ પહેલાની એક મૂંઝવણ. એ મૂંઝવણ એ કે પાંચમાં બાળકને આ પરીવારમાં લાવવું કે નહીં? આ ટૂંકી આવકમાં એની જરૂરિયાતો પૂરી કરી શકીશું? એને પૂરતો સમય આપી શકીશું ખરાં? એનો યોગ્ય રીતે ઉછેર કરી શકીશું? પછી એમને થયું કે ‘આ ચારને ઉછેર્યા છે તો પાંચમું સંતાન શું ભારે પડવાનું!’ એમના આ વિશ્વાસને કારણે ૧૯૭૪ની ૭મી ઓક્ટોબરે ચૌહાણ પરીવારમાં પાંચમા સંતાન તરીકે મારો જન્મ થયો . મને માબાપ મળ્યાં.  બે ભાઇ અને બે બહેનોનો સ્નેહ મળ્યો.  આ સૃષ્ટિને માણવાની સોનેરી તક મળી.  એ ધન્ય પળને ૩૫ વર્ષથી આમ તો રોજેરોજ ઊજવું છું પણ આજે આપ સૌની સાથે જરા વધારે ઊજવીશ. અને આજે મારા માતા–પિતાને એક વિશ્વાસ જરૂર આપીશ.

જિંદગીમાં આટલું ચોક્કસ કરીશ,

મહેક પંક્તિમાં પરોવીને દઇશ.

હું કિરણ છું એટલે જયાં જયાં જઇશ,

શબ્દથી થોડું તો અજવાળું કરીશ.

અહીંથી રોજ ઝઘડીને જવાની રીત ખોટી છે,

તું બોલે રીતનું પણ બોલવાની રીત ખોટી છે.

 

નથી કહેતો કે રાતે જાગવાની રીત ખોટી છે,

ઊઠીને આ ગમે ત્યાં ચાલવાની રીત ખોટી છે.

 

ઉડાડી મૂકી આખા માંડવામાં ધૂળ, સખ્ખત ધૂળ,

ઘણાં કહે છે કે ‘તારી નાચવાની રીત ખોટી છે.’

 

તમે જાણો છો, કે હું કેમ અટક્યો, કેમ ઝડપાયો ?

મને રસ્તે થયું કે ‘ભાગવાની રીત ખોટી છે.’

 

મને એકાંતમાં લઇ જા અને લાતે ને ઢીંકે માર,

બધાંની વચ્ચે આ ફટકારવાની રીત ખોટી છે.

 

કિરણકુમાર ચૌહાણ

બે વાતોનો ખર્ચો કરીએ,

કોઇ પણ રીતે જલસો કરીએ.

 

નથી જવું તો ચિંતા છોડો,

જવું જ છે તો રસ્તો કરીએ.

 

ગફલત થઇ ને લપસ્યો એ તો,

આવો, એને બેઠો કરીએ.

 

વૃક્ષોને એમ જ સાચવીએ,

જેમ દીકરાને મોટો કરીએ.

 

ખૂબ મઝાનો વિચાર આવ્યો,

આવ્યો છે તો વહેતો કરીએ.

 

કિરણકુમાર ચૌહાણ

તિરંગા

બડી શાન સે, બડે ફક્ર સે લહરાતા હૈ આજ તિરંગા,

અપની સાંસે, અપની ધડકન ઔર અપની આવાઝ તિરંગા.

સબ કે દિલ પર,  હર મંઝિલ પર કરતા હૈ અબ રાજ તિરંગા,

કભી ન કરના ઐસા કામ કી હો જાએ નારાજ તિરંગા.

 

કિરણકુમાર ચૌહાણ

૭ ઓગસ્ટ, ૨૦૦૬ની સાંજ. મહત્વની ચીજોને બચાવવાની વ્યવસ્થા થાય એ પહેલા જ ઘરમાં પ્રવેશીને સડસડાટ પાંચ ફૂટ સુધી ભરાયેલાં પાણીએ પછી તો ચાર–ચાર દિવસનો ધામો નાખ્યો. અને ટૂકા પગારમાં બહુ ભાવપૂર્વક વસાવેલી ઘરવખરી, હ્રદયના ટુકડાં સમાં કેટલાય પુસ્તકો, બાળપણથી તરુણાવસ્થા સુધીનાં ફોટોગ્રાફ, આકાશવાણી પરનાં પ્રથમ કાવ્યપઠનની કેસેટ, અન્ય અનેક યાદગીરીઓ અને ચાર–ચાર દિવસની ઊંઘની ઉઘાડી લૂંટ કરીને પાણી તો  બિન્દાસ જવાં લાગ્યાં. લ્યો બોલો !  પણ હું એને આમ તે કંઇ જવા દઉં કે ! મેંય એની પાસે એક ગઝલની ઉઘરાણી કરી લીધી… આ જુઓ…છે ને !

 

દોડતાં આવ્યા અને પળમાં જ ડુબાડી ગયાં,

પાણીને લાગી તરસ તો શહેર આખું પી ગયાં!

 

સ્વપ્ન જાણે આંખનું સરનામું પણ ભૂલી ગયાં,

એમ દિવસો સાવ ખુલ્લી આંખમાં વીતી ગયા.

 

આમ જો કે મૃત્યુંથી તો કોઇ ’દિ બીતા નથી,

દીકરીને ભૂખ લાગી એટલે ધ્રુજી ગયા.

 

પૂરનાં જળની સપાટી ના વધે બસ એટલે,

આંખનાં પાણીને લોકો આંખમાં રોકી ગયાં.

 

દોસ્ત ઘરવખરીની સાથે કેટલી યાદો ગઈ,

પાણી તો વીત્યા સમયની જિંદગી તાણી ગયાં.

 

આ તબાહી ભૂલવી સહેલી નથી પણ તે છતાં,

તે છતાં સદભાગ્ય એ કે બસ… અમે જીવી ગયાં.

 

કિરણકુમાર ચૌહાણ

છે ને!

આજે સુરતમાં સાહિત્યસંગમના ઉપક્રમે એક તરહી મુશાયરાનું આયોજન થયું હતું. જેમાં અપાયેલ પંક્તિ ‘યાદ હું પળ પળ કરું છું તે ગમે છે ને ?’ પરથી આજે સવારે જ રચાયેલી ગઝલ આપ સૌ દોસ્તો માટે અહીં મૂકું છું.

યાદ હું પળ પળ કરું છું તે ગમે છે ને !

આટલાથી પણ હ્રદય હળવું બને,  હેં ને !

 

તારી સામે મારી હાલત કૈંક આવી છે,

બાળ મુંઝાયેલું બોલે, ‘ છે ને..તે છે ને…’

 

મૌનની રંગોળી છે બંનેના હોઠો પર,

બેઉની આંખો કહે છે ‘ એ..ઇ કંઇ કહે ને !’ 

 

તું મને પ્રત્યુત્તરો આપે ન આપે પણ,

એટલું કહે ‘ મારા મૅસેજ તો મળે છે ને !’

 

હા મેં તારી ઊંઘ ચોરી છે, અને તું… હેં…!

આંખમાં સપનું મૂકી ભાગી જતી તે ને !

 

કિરણકુમાર ચૌહાણ

જયાં સુધી અંધારની સામે લડીશું,

આપણે બસ ત્યાં સુધી જીવતાં રહીશું.

 

યાદ તો તમને અમે ચોક્કસ કરીશું,

જયારે પણ કિસ્સો કોઇ નાજુક લખીશું.

 

એટલે તો ગોળ રાખી છે ધરા,

જઇશું આગળ, તે છતાં પાછા ફરીશું.

 

આ બધાં ઍવોર્ડ, ચંદ્રક, પારિતોષિક,

આ બધું પામી જશો પણ… એ પછી શું?

 

જો અગર મતભેદ સૌ ઉકલી ગયા હો,

તો પછી આજે બધાં સાથે જમીશું.

 

કિરણકુમાર ચૌહાણ

મુકતક

મિત્રો, આજે થોડી લાંબી વાત.. ટૂંકમાં.

 

એ જ રીતે દેશ પણ ચાલ્યા કરે,

આપણી ઊઠ–બેસ પણ ચાલ્યા કરે.

એકબાજુ થાય અપરાધો અને,

એકબાજુ કેસ પણ ચાલ્યા કરે.

 

કિરણકુમાર ચૌહાણ

Older Posts »