એમના રસ્તામાં ઠોકર બહુ નથી,
જેમની દુનિયામાં ઇશ્વર બહુ નથી.
ખુશ થવાના તેથી અવસર બહુ નથી,
સૌને પગ છે, તોય પગભર બહુ નથી.
એને ઉકેલ્યા નહીં બસ એટલે,
પ્રશ્ન ઝાઝા છે ને ઉત્તર બહુ નથી.
મેઘ વરસે તે છતાં દુષ્કાળ છે,
ખેડવા માટેના ખેતર બહુ નથી.
તુંય ડગ એકાદ ભર ને જો પછી,
આપણી વચ્ચેનું અંતર બહુ નથી.
કિરણસિંહ ચૌહાણ